નવી દિલ્હી, તા. 27 મે 2022 શુક્રવાર
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર રહેલા રિદ્ધિમાન સાહાએ બંગાળ તરફથી રણજી ટ્રોફી નોક આઉટ મેચ રમવાનો ઈનકાર કરી દીધો છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે સીએબીએ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી. આ સાથે જ સાહાનુ બંગાળ ક્રિકેટ ટીમની સાથે ઘરેલૂ કરિયર ખતમ થઈ ગયુ છે. તેમણે 2007માં બંગાળ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. બંગાળે 6 જૂને ઝારખંડ સામે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચ રમવાની છે. જેમાં સાહા હશે નહીં. સાહા અત્યારે આઈપીએલ 2022માં ગુજરાત ટાઈટન્સ તરફથી રમી રહ્યા છે. તેમની ટીમે ફાઈનલમાં સ્થાન બનાવી લીધુ છે. લીગની ફાઈનલ આ રવિવારે અમદાવાદમાં રમાશે.
ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ અવિષેક ડાલમિયાએ એક નિવેદનમાં કહ્યુ, સીએબી ઈચ્છતુ હતુ કે સાહા આવા મહત્વના અવસરે જ્યારે બંગાળની ટીમ રણજી ટ્રોફીની નોક આઉટ મેચ રમશે અને ગ્રૂપ સ્ટેજમાં ટોપ પર રહ્યા બાદ ખિતાબ જીતવાનો પ્રયત્ન કરશે ત્યારે વિકેટકીપર બેટ્સમેને ટીમની સાથે રહેવાનુ હતુ. મે સાહા સાથે એ વાત કરી હતી અને તેમને પોતાના નિર્ણય પર બીજીવાર વિચાર કરવાની વિનંતી કરી હતી. જોકે, સાહાએ અમને જણાવી દીધુ છે કે તે રણજી ટ્રોફી નોક આઉટ મેચ રમવા ઈચ્છતા નથી.
સાહાએ બંગાળ પાસે એનઓસી માગ્યુ
37 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન સાહા, જેમણે 122 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, તેમણે પહેલા જ રાજ્ય ક્રિકેટ સંઘને ઈન્ટર-સ્ટેટ એનઓસી માટે વિનંતી કરી છે. આ મુદ્દે સીએબીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ કે અમે શુ કરી શકીએ? જો તેઓ આટલુ અડિયલ વલણ અપનાવી રહ્યા છે, તો અમે તેમને એનઓસી આપી દઈશુ. પરંતુ મારુ એ કહેવુ છે કે કોઈ પણ ખેલાડીને રાજ્ય ક્રિકેટ સંઘ સાથે મનમાની કરવી જોઈએ નહીં કેમ કે એસોસિએશન કોઈ પણ ખેલાડી થી મોટુ હોય છે.
સાહાએ બંગાળ ટીમનુ વ્હોટ્સએપ ગ્રૂપ છોડ્યુ
સાહાએ બંગાળ ક્રિકેટ ટીમનુ વ્હોટ્સએપ ગ્રૂપ પણ છોડી દીધુ છે. એવામાં બંગાળ ટીમના કોચિંગ સ્ટાફના એક સદસ્યએ કહ્યુ, હુ સાહાના નિર્ણય પર કોઈ કમેન્ટ કરીશ નહીં કે તેમણે કેમ ટીમમાંથી હટવાનો નિર્ણય કર્યો. પરંતુ હવે તસવીર સ્પષ્ટ થઈ ચૂકી છે. હવે અમે તે હિસાબે પોતાની રણનીતિ તૈયાર કરીશુ.
સાહા સીએબી પદાધિકારીના નિવેદનથી નારાજ હતા
આ સમગ્ર વિવાદની શરૂઆત શ્રીલંકા સામે 2 ટેસ્ટની ઘરેલૂ સિરીઝથી સાહાને બહાર કર્યા બાદથી થઈ છે. ટીમ ઈન્ડિયાથી બહાર થયા બાદ સાહાએ રણજી ટ્રોફીના ગ્રૂપ સ્ટેજની મેચમાંથી પણ પોતાનુ નામ પાછુ લઈ લીધુ હતુ. આ નિર્ણયની પાછળ તેમણે અંગત કારણોનો હવાલો આપ્યો હતો. જે બાદ સીએબીના સંયુક્ત સચિવ દેવબ્રત દાસે સાર્વજનિક રીતે ટીમના પ્રત્યે સાહાની પ્રતિબદ્ધતા અને સમર્પણ પર પ્રશ્ન ઉભા કર્યા હતા.
સાહા સિલેક્શનને લઈને નારાજ હતા
આઈપીએલ 2022માં સારુ પ્રદર્શન હોવા છતાં સાહાને ઝારખંડ સામે ક્વાર્ટર ફાઈનલ મેચ માટે પસંદ કરવામાં આવેલી બંગાળની 22 સભ્યની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમણે આ મુદ્દે સીએબીના સચિવ સાથે ફોન પર વાત કરી હતી અને સંયુક્ત સચિવના નિવેદન સામે વિરોધ વ્યક્ત કરતા રમવાનો ઈનકાર કરી દીધો. સાહાનુ કહેવુ હતુ કે જે રીતે ટીમ પસંદ કર્યા પહેલા મોહમ્મદ શમી સાથે વાત કરવામાં આવી હતી. તેવી જ રીતે સેલેક્શન પહેલા એસોસિએશને તેમની સાથે પણ વાત કરવાની હતી.
https://ift.tt/t5Ez4Fc from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/62vbtAy
0 ટિપ્પણીઓ