- પાલ વોક-વેમાંથી છેલ્લા દસેક દિવસથી પાણીનો બગાડ થઈ રસ્તા પર વહી રહ્યું છે
- પાલિકાના ગાર્ડન, સર્કલ અને વોક-વેમાંથી છોડને ઓછું પાણી પણ લારી-ગલ્લાવાળા માટે પાણીની રેલમછેલ, પાણીનો દુરૂપયોગ છતાં પાલિકા તંત્રનું મૌન
સુરત,તા. 24 મે 2022,મંગળવાર
હાલ ઉનાળાની આકરી ગરમીના કારણે પાણીની માગમાં સતત વધારો થઈ રહ્યો છે તેથી પાલિકા તંત્ર લોકોને પાણી બચાવવાની સલાહ આપી રહ્યું છે. લોકોને પાણીની બચતની સલાહ આપતું પાલિકા તંત્ર જ ખુદ પાણીનો બગાડ કરી રહ્યું છે. પાલ કેનાલ રોડના વોક-વેમાંથી છેલ્લા દસેક દિવસથી પાણીનો બગાડ થઈ રહ્યો છે અને આ પાણી જાહેર રસ્તા પર વહી રહ્યું છે. આ વોક-વે ઉપરાંત પાલિકાના ગાર્ડન અને સર્કલમાં ફુલ-છોડની માવજત માટે મુકેલા પાણીના નળનો દુરુપયોગ લારી ગલ્લાવાળા કરી રહ્યાં છે તેમ છતાં તંત્ર કોઈ પગલાં ભરતું ન હોવાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે.
સુરત પાલિકાના પાલ-પાલનપોર કેનાલ રોડ પર વોક-વે બનાવવામાં આવ્યો છે. આ વોક-વેમાં રોપાયેલા ફુલ છોડની માવજત માટે કેટલીક જગ્યાએ પાણીના નળ પોઈન્ટ આપવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા દસેક દિવસથી આ વોક-વેમાંથી પાણીનો બગાડ થઈને પાણી જાહેર રોડ પર વહી રહ્યું છે તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થવા ઉપરાંત ગંદકી પણ થઈ રહી છે. આ વોક-વેમાંથી વેડફાતા પાણીના કારણે આસપાસના લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. લોકોની ફરિયાદ છતાં પણ પાલિકા તંત્ર કોઈ પગલાં ભરતું ન હોવાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.
આ વોક-વેમાં ફુલ છોડની માવજત માટે પાણીના નળ આપવામા આવ્યા છે પરંતુ તેનો ઉપયોગ પાલિકા તંત્ર ઓછો અને આસપાસ ઉભી રાખવામાં આવતી લારીઓ અને શ્રમજીવીઓ વધુ કરી રહ્યાં છે. લારીવાળાઓ અહીંથી પાણી ભર્યા બાદ નળ ખુલ્લા મુકી દેતા હોવાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે.
આ પ્રકારની સમસ્યા માત્ર આ વોક-વેની નથી પરંતુ પાલિકાના તમામ સર્કલમાં સર્કલની માવજત માટે પાણીના પોઇન્ટ આપવામા આવ્યા છે તનો ઉપયોગ આસપાસના લારી ગલ્લા વાળાઓ જ કરી રહ્યાં છે. પાલિકા સુરતના લોકોને મીટરથી પાણી આપી રહી છે પરંતુ રસ્તા પર દબાણ કરીને ગેરકાયદે ઉભા રહેતા લારી ગલ્લાવાળા પાલિકાના સર્કલ, ગાર્ડન અને વોક-વેમાંથી બે રોકટોક પાણીનો ઉપયોગ કરી રહ્યાં છે. મોરાભાગળ ચાર રસ્તા પર જે સર્કલ બનાવવામા આવ્યું છે તેમાં પાણીના નળમાંથી ત્યાં રસ્તા પર ભરાતી મચ્છી માર્કેટમાં પાણીનો બેફામ ઉપયોગ કરવામા આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ પાણી જાહેર રસ્તા પર ફેંકી ગંદકી પણ કરવામા આવી રહી છે. પાલિકાના ગાર્ડન, વોક-વે અને સર્કલના પાણીનો દુરૂપયોગ થઈ છડેચોક બગાડ થઈ રહ્યો હોવા છતાં પાલિકા તંત્ર મૌન બેઠું છે. આ પાણીના બગાડને કારણે અકસ્માત થવાની ભીતિ હોવા ઉપરાંત લોકોનું આરોગ્ય પણ જોખમાઈ તેવી સ્થિતિ હોવાથી આ દુષણ દુર કરવા માટે લોકો માગણી કરી રહ્યાં છે.
https://ift.tt/MUfe4Fa from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bH09oKC
0 ટિપ્પણીઓ