- આતંકીઓએ ખૈબર પખ્તુનખ્વા-ગિલગિટ બાલ્ટિસ્તાન રોડ બ્લોક કરી સરકારનું નાક દબાવ્યું
- ટીટીપીના આતંકીઓએ ગિલગિટ-બાલ્ટિસ્તાનના મંત્રી આબિદુલ્લાહ બેગ અને વિદેશી પ્રવાસીઓનું અપહરણ કરી દસ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું
- આતંકીઓએ ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રાંતમાં ઈસ્લામિક કાયદો લાગુ કરવા, મહિલાઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો મૂકવા પણ માગ કરી હતી
ઈસ્લામાબાદ : ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ માટે આતંકવાદીઓનું ભરણ-પોષણ કરતાં પાકિસ્તાન માટે હાથના કર્યા હૈયે વાગ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનની જેલમાં કેદ સાથીઓની મુક્તિની માગણી માટે આતંકીઓએ ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રાંતના નાણામંત્રી આબિદુલ્લાહ બેગ અને વિદેશી પ્રવાસીઓનું અપહરણ કર્યું હતું તેમ ખૈબરપખ્તુનખ્વા અને ગિલગિટ-બાલ્ટિસ્તાનને જોડતો મુખ્ય માર્ગ બ્લોક કરી દીધો હતો. આતંકીઓએ નાણામંત્રી બેગને મારી નાંખવાની ધમકી આપી હતી. અંતે પાકિસ્તાન સરકારે તેમના સાથીઓને છોડી મૂકતા આતંકીઓએ મંત્રી આબિદુલ્લાહ બેગ અને વિદેશી પ્રવાસીઓને છોડી મૂક્યા હતા.
તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકીઓએ શુક્રવારે ગિલગિટ-બાલ્ટિસ્તાનના નાણા, ઉદ્યોગ અને શ્રમ મંત્રી આબિદુલ્લાહ બેગનું અપહરણ કર્યું હતું. મંત્રી ઈસ્લામાબાદથી પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વાને ગિલગિટ-બાલ્ટિસ્તાન સાથે જોડતા એક મુખ્ય માર્ગથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે આતંકીઓએ રસ્તો જામ કરી મંત્રી અને અનેક વિદેશી પ્રવાસીઓનું અપહરણ કર્યું હતું. ત્યાર પછી આતંકીઓએ ધમકી આપતા કહ્યું હતું કે, તેમના સાથીઓને છોડી મૂકવામાં નહીં આવે તો તેઓ મંત્રી બેગને મારી નાંખશે.
પાકિસ્તાનમાં શુક્રવારે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ શૅર કરાઈ હતી, જેમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનના વરિષ્ઠ મંત્રી આબિદુલ્લાહ બેગને કથિત રીતે એમ કહેતા સાંભળી શકાતા હતા કે ઈસ્લામાબાદથી ગિલગિટ તરફ જતી વખતે આતંકીઓએ તેમના સાથીઓને જેલમાંથી છોડાવવા માટે અધિકારીઓ પર દબાણ લાવવાના આશયથી રસ્તો જામ કરી દીધો હતો.
પાકિસ્તાનના ડોન અખબારે સૂત્રોને ટાંકીને કહ્યું કે ગિલગિટના કુખ્યાત આતંકી હબીબુર રહેમાને સાથીઓને છોડાવવા માટે શુક્રવારે સાંજે ચાર વાગ્યે ડાયમેર સ્થિત ચિલાસના ઠાક ગામમાં રસ્તામાં અવરોધો ઊભા કર્યા હતા, જેથી બંને તરફથી આવતા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. સૂત્રોએ કહ્યું કે, આતંકીઓએ તેમના સાથીઓને છોડાવવાની માગણી કરી હતી. આ આતંકીઓ નંગા પર્વત ક્ષેત્રમાં વિદેશીઓની હત્યા કરવા અને ડાયમેરમાં અન્ય આતંકી ઘટનાઓમાં સામેલ હતા. આ સાથે આતંકીઓએ પ્રાંતમાં ઈસ્લામી કાયદો લાગૂ કરવાની માગ કરી હતી.
ગિલગિટ-બાલ્ટિસ્તાનના નાણાં, ઉદ્યોગ, વાણિજ્ય અને શ્રમ મંત્રાલયના પ્રભારી મંત્રી આબિદુલ્લાહ બેગે જાહેર કરેલા એક વીડિયોમાં દર્શાવાયું છે કે જેલમાંથી સાથીઓની મુક્તિની પુષ્ટિ થયા પછી જ આતંકીઓએ મંત્રી આબિદુલ્લાહ બેગ સહિત અપહરણ કરેલા બધા લોકોને છોડી મુક્યા હતા.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ncxvXYH https://ift.tt/5Y63i4x
0 ટિપ્પણીઓ