વધુ વ્યાજની લાલચમાં કેટલાંક કર્મચારીઓ ફસાયા તાબા હેઠળના નિવૃત્ત થતા કર્મચારીઓની મરણમૂડીનું વધુ વ્યાજ આપવાની લાલચ આપી બધા હકક હિસ્સા મેળવી લીધા બાદ પરત આપવો નનૈયો
વેરાવળ, : વેરાવળમાં રહેતા એક વગદાર રેલવે અધિકારીએ એમના તાબા હેઠળના નિવૃત થતા કર્મચારીઓને પોતાની જાળમાં ફસાવી બેન્ક કરતા ઊંચા વ્યાજ આપવાની લાલચ આપી નિવૃતિ વેળા આવેલા મરણમૂડીના લાખો રૂપિયા ઓળવી જતાં આશરે દોઢ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવી નાંખ્યાની વિગતો ચર્ચાઈ રહી છે.
વધુ વિગત મુજબ આ અધિકારી રેલવેમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે. એમ પણ કહેવાય છે કે એણે વ્યાજવટાવનો ધંધો ચાલુ કર્યો છે, જે સરકારી કર્મચારી કરી ન શકે. આ અધિકારીએ એવા લોકોને ટારગેટ કર્યા છે કે એમના તાબામાં નોકરી કરતા હોય અને એમને આગોશમાં લઈ જયારે જયારે કોઈ નિવૃત થાય એને સકંજામાં લઈ નિવૃતિની રકમ બેન્કમાં મૂકવાને બદલે પોતે મેળવી લેતો હતો.
આ અધિકારી પહેલા તો શરૂ શરૂમાં નિવૃત કર્મચારીને નિયમિત ઊંચુ વ્યાજ ચૂકવતો રહેતો હતો, જેથી કોઈ બોલતા ન હતા. એ પછી આ અધિકારીએ અસ્સલ સ્વરૂપમાં આવી જઈ પોત પ્રકાશી જેની પાસેથી નાણા મેળવ્યા છે એને વ્યાજ ચુકવવામાં ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને હવે તો ખૂલ્લે આમ કહે છે કે જ્યા જવુું હોય ત્યાં જાઓ પૈસા નહી મળે !
તેણે આમ કહીને હાથ ઊંચા કરી નાંખ્યા છે, જેના કારણે નિવૃત કર્મચારી પરિવારોની હાલત કફોડી બની ગઈ છે .કેટલાય કર્મચારીઓએ બેન્ક એન્ટ્રીથી નાણા આપ્યા છે એ કાનુની માર્ગદર્શન લઈ રહ્યા છે અને પોલીસને ફરિયાદ કરવાની ફિરાકમાં છે.
https://ift.tt/pEWlmKX
0 ટિપ્પણીઓ