VIDEO: જોશીમઠમાં ધસી રહેલી દિવાલો-જમીન અંગે મોટો નિર્ણય, તુરંત ખાલી કરાવાશે ખતરનાક ઝોન

ઉત્તરાખંડના જોશીમઠ શહેરમાં દિવાલો ધસી રહી છે, જમીન ધસી રહી છે, ઘરોની દિવાલોની તિરાડોમાંથી પાણી બહાર આવી રહ્યું છે. બદ્રીનાથ ધામથી આશરે 50 કિલોમીટર દૂર જોશીમઠમાં ખતરાસમાન સ્થિતિ જોવા મળી રહી છે. ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન અને ધસી રહેલી દિવાલોના કારણે લોકો ડરના માહોલમાં જીવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે કેટલાક લોકો પોતાનો આશરો છોડીને જતા રહ્યા છે.

જોશીમઠની આ ઘટના સામે આવ્યા બાદ મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે. મળતી વિગતો મુજબ મુખ્યમંત્રીએ બેઠકમાં તાત્લાકિક સલામત સ્થળે એક મોટું કામચલાઉ પુનર્વસન કેન્દ્ર બનાવવા તેમજ જોશીમઠમાં સેક્ટર અને ઝોનલ મુજબ યોજના ઘડવા જણાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, જોશીમઠની ખતરારૂપ જગ્યાઓને તુરંત ખાલી કરાવવા તેમજ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને સક્રિય રહેવા જણાવ્યું છે. ત્યાર બાદ અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

સરકાર ચૂકવશે 6 મહિનાનું ભાડું 

બેઠક બાદ વહિવટી તંત્રે જોશીમઠના અસરગ્રસ્તો માટે મહત્વનો નિર્ણય લીધો છે. પુષ્કર ધામીની સૂચના પર તંત્રે અસરગ્રસ્ત પરિવારોને 6 મહિનાનું ભાડું ચૂકવવાની જાહેરાત કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, જે લોકોના ઘર જોખમમાં છે અથવા રહેવા લાયક નથી, તેમને આગામી 6 મહિના સુધી ભાડાના મકાનમાં રહેવા સહાય તરીકે પરિવાર દીઠ 4000 રૂપિયા અપાશે. આ સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરાઈ છે.

500થી વધુ મકાનોમાં તિરાડો

જોશીમઠમાં અત્યાર સુધીમાં 500થી વધુ ઘરોમાં તિરાડો પડી ગઈ છે. ઘણા પરિવારોને સુરક્ષિત સ્થળે મોકલાયા છે, તો કેટલાક પરિવારો પોતાનું ઘર છોડીને જતા રહ્યા છે. આ ઘટનાને લઈ સમગ્ર શહેરમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભારતની સરહદ પર વસેલા ઉતરાખંડના ચમોલી શહરમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે જોશીમઠની જમીન ખસી રહી છે. આ કારણે સ્થિતિ એ બની છે કે ગામના લોકોને ત્યાથી દુર જવા મજબુર બન્યા છે.

અવ્યવસ્થા અને બિન આયોજિત બાંધકામ જવાબદાર

જોશીમઠ એકલુ જ શહેર નથી પણ ઉતરાખંડમાં 32 ગામના પણ આવા જ હાલ છે. ચમોલીમાં અત્યાર સુધીમાં 584 મકાનો અને હોટલો તેની ઝપેટમાં આવી ગયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના સચિવ રણજીત સિંહાનું કહેવું છે કે જોશીમઠમાં સ્થિતિ ચિંતાજનક છે. જોશીમઠનું નિરીક્ષણ કરીને પરત ફરેલી ટેકનિકલ ટીમે અનેક સૂચનો આપ્યા છે. આ મામલે તાત્કાલિક અમલ કરવાની જરૂર છે. ટેક્નિકલ ટીમે ભૂસ્ખલનનું સૌથી મોટું કારણ જોશીમઠમાં ડ્રેનેજની કોઈ વ્યવસ્થા નથી તે જણાવ્યુ હતું.  જોશીમઠમાં પાંચ માળની હોટલોના અનિયંત્રિત અને બિનઆયોજિત બાંધકામો નીચાણમાં વધારો કરી રહ્યા છે. આ સ્થિતિ માત્ર જોશીમઠમાં જ નથી, પરંતુ મોટાભાગના પહાડી નગરોમાં છે. 

લોકોને ખસેડવામાં આવી રહ્યા છે

જોશીમઠમાં ભૂસ્ખલનની સ્થિતિના કારણે લોકો ભયભીત છે. શહેરના પ્રવેશદ્વાર પર આવેલી બે મોટી હોટલોમાં તિરાડ પડી જતાં તેની નીચે રહેતા 5થી 10 પરિવારો જોખમમાં મુકાયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે 5 પરિવારોને નગરપાલિકા અને બ્લોક જોશીમઠમાં શિફ્ટ કર્યા છે. લોકો ઘર છોડીને અન્ય જગ્યાએ શિફ્ટ થયા છે. હવે ધીમે ધીમે લોકોની ધીરજ પણ તૂટી રહી છે. અસરગ્રસ્તો પણ રડવા લાગ્યા છે. પ્રશાસન પણ સુરક્ષાના દૃષ્ટિકોણથી લોકોને ખસેડી રહ્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ સતત અધિકારીઓ પાસેથી જોશીમઠ ભૂસ્ખલનનો રિપોર્ટ માંગ્યો હતો. આ ગામોના 148 પરિવારોના વિસ્થાપનની ફાઇલ હજુ પણ વર્ષોથી સરકારી કચેરીઓમાં રખડી રહી છે. જો કે 2012થી 45થી વધુ ગામોના 1400 જેટલા પરિવારોનું વિસ્થાપન પણ થયું છે.

Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fjQSoLO https://ift.tt/n8wOv5k

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ