- અત્યાર સુધીમાં 60 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના લોકો અને ફ્રન્ટલાઈન વર્કર્સમાંથી 26% લોકોએ બુસ્ટર ડોઝ લઈ લીધો છે
નવી દિલ્હી, તા. 13 જુલાઈ 2022, બુધવાર
દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હવે બુસ્ટર ડોઝ પણ ફ્રીમાં આપવાની તૈયારી છે. 18થી 59 વર્ષની ઉંમરના લોકોને આ સુવિધા સરકારી વેક્સિનેસન કેન્દ્રો પર મળી શકશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે 15 જુલાઈથી વિશેષ અભિયાન હેઠળ આ સુવિધા આપવામાં આવશે. આ અભિયાન 75 દિવસ સુધી ચાલશે. આ અભિયાન હેઠળ પહેલા લેવામાં આવેલા 2 વેક્સિન ડોઝની જેમ જ લોકો સરકારી કેન્દ્રોમાં જઈને બુસ્ટર ડોઝ લઈ શકાશે. કોરોના સંક્રમણ દરમાં છેલ્લા કેટલાક સમયથી વધારો જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ સરકારે લોકોને બુસ્ટર ડોઝ લેવાની વિનંતી કરી છે.
જો કે, એક વર્ગની માગ હતી કે, પ્રથમ બે વેક્સિનની જેમ જ બુસ્ટર ડોઝ પણ ફ્રીમાં આપવો જોઈએ. આ દરમિયાન હવે સરકારે આ વેક્સિનને પણ ફ્રીમાં આપવાનો નિર્ણય લીધો છે. સરકારી અધિકારીઓએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર 75 દિવસનું વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. અત્યાર સુધીમાં 18થી 59 વર્ષની ઉંમરના 77 કરોડ લોકોમાંથી માત્ર 1% લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે, ફ્રી વેક્સિનેસનની પહેલથી આ આંકડામાં વધારો થશે અને લોકો સરકારી કેન્દ્રો પર જઈને રક્ષણ માટે બુસ્ટર ડોઝ લેશે.
અત્યાર સુધીમાં 60 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના લોકો અને ફ્રન્ટલાઈન વર્કર્સમાંથી 26% લોકોએ બુસ્ટર ડોઝ લઈ લીધો છે. એક અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા 9 મહિનામાં દેશના મોટા ભાગના લોકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઈ લીધો છે. ICMR અને અન્ય વૈશ્વિક સંસ્થાઓની સ્ટડી પ્રમાણે બે ડોઝ દ્વારા વિકસિત રોગપ્રતિકારક શક્તિ તેની અસર 6 મહિના સુધી રહે છે. પરંતુ તે પછી ફરી એકવાર બૂસ્ટર ડોઝની જરૂર છે. તેથી સરકારે 18 થી 59 વર્ષની વય જૂથના લોકોને મફત બૂસ્ટર ડોઝ આપવાનું નક્કી કર્યું છે.
87% લોકોને કોરોનાના બંને ડોઝ મળી ચૂક્યા છે
છેલ્લા અઠવાડિયે જ સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાનો બીજો ડોઝ અને બુસ્ટર ડોઝ લેવા વચ્ચેનું અંતર ઘટાડીને 6 મહીના કરી દીધું હતું જે પહેલા 9 મહિના હતું. આ ઉપરાંત દેશમાં મોટાભાગના લોકોને વેક્સિનેસનના દાયરામાં લાવવા માટે 1 જૂનથી 'હર ઘર દસ્તક અભિયાન 2.0' ની પણ શરૂઆત કરવામાં આવી હતી. 2 મહિનાનું આ અભિયાન હાલમાં ચાલું છે. સરકારી ડેટા પ્રમાણે દેશમાં વેક્સિનેસન માટે યોગ્ય 96 ટકા લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. આ સિવાય 87 ટકા લોકોને પ્રથમ વેક્સિન લઈ લીધી છે.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FOGAujz https://ift.tt/8oJwP4h
0 ટિપ્પણીઓ