દેશભરમાં ગણેશ વિસર્જન વખતે અકસ્માતમાં 50થી વધુનાં મોત


- મહારાષ્ટ્રમાં 21, ઉ. પ્રદેશ-પંજાબ-હરિયાણામાં 23એ જીવ ગુમાવ્યા

- મહારાષ્ટ્રમાં 21માંથી 15નાં મોત ડૂબી જવાથી થયા જ્યારે હરિયાણાના મહેન્દ્રગઢમાં પાંચ બાળકોને બચાવી લેવાયા

નવી દિલ્હી : દેશભરમાં ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા ૧૦ દિવસના ગણેશ મહોત્સવનું શુક્રવારે અનંત ચતુર્થીએ સમાપન થયું હતું. મહોત્વના અંતે ભગવાન ગણેશની પ્રતિમાઓના વિસર્જન સમયે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત દેશભરમાં અનેક જગ્યાએ વિવિધ દુર્ઘટનાઓ થઈ હતી, જેમાં ૫૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મહારાષ્ટ્રમાં ડૂબી જવાના કારણે ૨૧ લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં અકસ્માત અને ડૂબી જવાથી ૨૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો. અન્ય રાજ્યોમાં પણ ગણેશ પ્રતિમાના વિસર્જન સમયે નદી, તળાવોમાં ભક્તોના ડૂબી જવાની અથવા અકસ્માતની ઘટનાઓ બની હતી.

દેશભરમાં ગણેશ વિસર્જનમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૪૦,૦૦૦થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગણેશ પ્રતિમાના વિસર્જન સમયે ૨૧માંથી ૧૫ લોકોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં. વર્ધા જિલ્લાના સવાંગમાં ત્રણ લોકો ડૂબી ગયા હતા જ્યારે અન્ય એક વ્યક્તિ દેવલીમાં ડૂબી ગઈ હતી. યવતમાલ જિલ્લામાં પણ પ્રતિમા વિસર્જન માટે ગયેલી બે વ્યક્તિ તળાવમાં ડૂબી ગઈ હોવાના સમાચાર મળ્યા છે. 

અહેમદનગર જિલ્લાના સુપા અને બેલવંડીમાં અલગ અલગ ઘટનામાં બે લોકો ડૂબી ગયા જ્યારે જલગાંવ જિલ્લામાં અન્ય બે લોકોનાં મોત થયા હતા. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, પૂણેના ગ્રામીણ ક્ષેત્ર, ધૂલે, સતારા અને સોલાપુર શહેરમાં એક-એક વ્યક્તિના મોત થયા હતા. 

ગણેશ પ્રતિમાના વિસર્જન દરમિયાન માર્ગ અકસ્માતમાં નાગપુર શહેરના શક્કરદારા વિસ્તારમાં ચાર લોકોનાં મોત થયા હતા. થાણેના કોલબાદ વિસ્તારમાં વરસાદ વચ્ચે એક વૃક્ષ એક ગણેશ પંડાલ પર પડતાં ૫૫ વર્ષની એક વ્યક્તિનું મોત થયું હતું.

દરમિયાન ઉત્તર પ્રદેશ અને હરિયાણાની અલગ અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી ૧૫ લોકોનાં મોત થઈ ગયાં. હરિયાણાના મહેન્દ્ર ગઢ અને સોનીપત જિલ્લામાં શુક્રવારે ભગવાન ગણેશની પ્રતિમા વિસર્જિત કરતી વખતે છ લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા. બીજીબાજુ મહેન્દ્રગઢમાં ચાર યુવાન નહેરમાં ડૂબી ગયા હતા જ્યારે બે લોકો સોનીપતમાં યમુના નદીમાં ડૂબી ગયા. 

ઉત્તર પ્રદેશમાં અલગ અલગ જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન નવ લોકોનાં મોત થયા હતા, જેમાં ઉન્નાવમાં ત્રણ, સંત કબીરનગરમાં ચાર, લલિતપુરમાં બે યુવકોના મોત થયા હતા. આ સિવાય ઉન્નાવમાં ગંગા નદીમાં ગણેશ પ્રતિમા વિસર્જિત કરતી વખતે બે બાળકો ડૂબી ગયા હતા જ્યારે ચારને બચાવી લેવાયા હતા. એ જ રીતે સંત કબીરનગરમાં નદીમાં ડૂબી જવાથી ચાર બાળકોનાં મોત નીપજ્યાં હતા.



https://ift.tt/B3gTWb1 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8pbXi5j

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ