વડોદરા, તા.8 વડોદરા નજીક શેરખી ગામની જમીન વેચાણ આપ્યા બાદ મૂળ માલિકના વારસદારોએ જમીન અન્યને વેચવાનો કારસો રચી રૃા.૧૧.૭૪ લાખની ઠગાઇ વેપારી સાથે કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આનંદનગર પાસે સાંઇકૃપા સોસાયટીમાં રહેતા મુકેશ મગનભાઇ ઠક્કરે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું હોલસેલમાં કપડાંનો વેપાર કરું છું. શેરખી ગામની સીમમાં ગણપતભાઇ પરમારની ૩૮૩૬ ચો.મી. નવી શરતની જમીન રૃા.૨૫ લાખમાં લેવાનું નક્કી કરી ઓગસ્ટ ૨૦૧૬માં બાનાખત કરી ગણપતભાઇ તેમજ તેમના વારસદારોને રોકડ અને ચેક દ્વારા તબક્કાવાર કુલ રૃા.૧૧.૭૪ લાખ ચૂકવ્યા હતાં.
ગણપતભાઇને લાગેલ કે મારા વારસદારો ભવિષ્યમાં પ્રશ્નો ઊભા કરશે જેથી તેમણે વારસદારો પાસે બાનાખત કબૂલ રાખતો એક સંમતિ કરાર પણ વેપારી પાસે કરાવ્યો હતો. આ કરાર થયા બાદ જુલાઇ-૨૦૨૦માં ગણપતભાઇનું મૃત્યુ થયું હતું. જમીન નવી શરતની હોવાથી તેને જૂની શરતમાં ફેરવવા માટે જ્યારે ગણપતભાઇના વારસદારોને કહેવામાં આવે ત્યારે તેઓ બહાના બતાવતા હતા. બાદમા ગણપતભાઇના વારસદારો દ્વારા વેચાણ કરેલી જમીન ફરીથી વેચાણ માટેનો કારસો રચવામાં આવ્યો હતો અને તે જમીન માટેનું ટાઇટલ ક્લિયરન્સ માંગવામાં આવ્યું હતું.
જમીન વેચાણ આપી હોવા છતાં તે જમીન અન્યને વેચાણ માટેની પ્રક્રિયા વારસદારોએ શરૃ કરતાં તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને તેની તપાસ બાદ ગણપતભાઇના ચાર વારસદારો મણીબેન, શશિકાંત ઉર્ફે રણજીત, જગદીશ અને શિલ્પાબેન સામે ફરિયાદ નોંધાઇ છે.
https://ift.tt/67n2iDv
0 ટિપ્પણીઓ