IND vs SL : ભારત-શ્રીલંકા વચ્ચે કાલે બીજી T20, સંજુ સિરિઝમાંથી બહાર, નવા ચહેરાનો સમાવેશ

Image - espncricinfo

નવી દિલ્હી, તા.04 જાન્યુઆરી-2023, બુધવાર

ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે ત્રણ T20ની સિરિઝની બીજી મેચ પુણેમાં રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતનો છેલ્લા બોલે વિજય થયા શ્રેણીમાં ભારત 1-0થી આગલ છે. દરમિયાન ભારતીય ટીમના ખેલાડી સંજુ સેમસન ઈજાગ્રસ્ત થતા તેને સિરિઝમાંથી બહાર જવું પડ્યું છે. સંજુના સ્થાને વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માને લેવામાં આવ્યો છે.

સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયો

મુંબઈમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયો હતો. કેચ પકડતી વખતે સંજુ સેમસનને ઘુંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને ટીમમાંથી બહાર કરાયો છે. પ્રથમ T20 મેચમાં સંજુ સેમસન નિષ્ફળ ગયો હતો અને માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. 

જિતેશ શર્મા કોણ છે ?

મહારાષ્ટ્રના 29 વર્ષના જિતેશ શર્મા રણજી ટ્રોફીમાં વિદર્ભ તરફથી રમે છે. બીજી તરફ જિતેશ IPLમાં પંજાબ કિંગ્સમાં કમાલની બેટીંગ કરી ચુક્યા છે. જિતેશ શર્માના રેકોર્ડની વાત કરીએ તો તેણે 47 લિસ્ટ-A મેચમાં 1350 રન બનાવ્યા છે, જ્યારે 76 T20 મેચમાં 1787 રન બનાવ્યા છે.

શ્રેણીમાં ભારત 1-0થી આગળ

ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 3 T20 સિરિઝની પ્રથમ મેચમાં ભારતનો 2 રને વિજય થયો હતો. ભારત તરફથી સૌથી વધુ દિપક હુડ્ડાએ 41 રન કર્યા હતા. ડેબ્યૂ મેચ રમી રહેલા શિવમ માવીએ 4, હર્ષલ પટેલે 2, ઉમરાન મલીકે 2 વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 162 રન કર્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 160 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ સૌથી વધુ 45 રન, કુશલ મેન્ડીસે 28 રન જ્યારે વનિન્દુ ડી.સિલ્વાએ 21 રન કર્યા હતા. આ સાથે ભારતે સિરિઝમાં 1-0થી જીત મેળવી છે. બંને દેશો વચ્ચે આગામી બીજી T20 મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં રમાશે.

T20 શ્રેણી માટે ભારતની ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ કીપર), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જિતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.

શ્રીલંકાની પ્લેઈંગ-11

પથુમ નિશંકા, કુશલ મેન્ડિસ, ધનંજય ડી સિલ્વા, ચરિથ અસાલંકા, ભાનુકા રાજપક્ષે, દસુન શનાકા, વાર્નિદુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહિષ તિક્ષાણા, કસુન રજીથા, દિલશાન મધુશંકા

શ્રીલંકાનો ભારત પ્રવાસ

  • પ્રથમ T20 : 3 જાન્યુઆરી, મુંબઈ
  • બીજી T20 : 5 જાન્યુઆરી, પુણે
  • ત્રીજી T20 : 7 જાન્યુઆરી, રાજકોટ

ટીમ ઈન્ડિયાની જર્સીમાં ફેરફાર

સિરિઝ પહેલા ભારતીય ટીમની જર્સીમાં કેટલાક ફેરફાર થયા છે. સિરિઝ પહેલા ખેલાડીઓનો ફોટોશૂટ કરાવ્યો હતો. યુઝવેન્દ્ર ચહલે આ ફોટોશૂટની એક ઝલક શેર કરી હતી. આ તસવીરમાં યુઝવેન્દ્ર ઉપરાંત ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને ઋતુરાજ ગાયકવાડ જોવા મળ્યા હતા.

જર્સી પર MPLના બલે ‘KILLER’

શ્રીલંકા સામેની સિરિઝમાં ટીમ ઈન્ડિયા નવી જર્સી સાથે મેદાનમાં ઉતરશે. હવે ભારતીય ટીમની જર્સી પર નવા કિટ સ્પોન્સરનું નામ જોવા મળશે. અગાઉ ખેલાડીઓની જર્સી પર BCCIના લોકો ઉપરાંત MPL સ્પોર્ટ્સનું નામ જોવા મળતું હતું, હવે MPLના બલે ‘KILLER’ લખાયેલું જોવા મળશે. MPL સ્પોર્ટ્સ 2023 સુધી ટીમ ઈન્ડિયાની કિટ સ્પોન્સર હતી, જોકે કંપનીએ તેનો આ છેલ્લા વર્ષનો કોન્ટ્રાક્ટ Kewal Kiran Clothing Limitને આપી દેતા હવે ટીમ ઈન્ડિયાની જર્સી પર તેમનો જ લોકો જોવા મળશે.

Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KtOYp63 https://ift.tt/rkg8XCj

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ