Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: દારૂ કૌભાંડ : ઈડીના દિલ્હી, પંજાબ, હૈદરાબાદમાં ૩૫ સ્થળો પર દરોડા

દારૂ કૌભાંડ : ઈડીના દિલ્હી, પંજાબ, હૈદરાબાદમાં ૩૫ સ્થળો પર દરોડા


નવી દિલ્હી, તા.૭

દિલ્હીના દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના શ્રેણીબદ્ધ દરોડા ચાલુ છે. ઈડીએ શુક્રવારે દિલ્હી, પંજાબ અને હૈદરાબાદમાં ૩૫ સ્થળો પર દરોડા પાડયા હતા. આ પહેલા સપ્ટેમ્બરમાં પણ ઈડીએ પાડેલા દરોડામાં અત્યાર સુધીમાં દારૂ કૌભાંડમાં બે લોકોની ધરપકડ કરાઈ છે. બીજીબાજુ ઈડીની રેડ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, માત્ર ગંદા રાજકારણ માટે અધિકારીઓનો સમય બર્બાદ કરાઈ રહ્યો છે.

કેન્દ્રીય તપાસ એજન્સીને દિલ્હીના દારૂ કૌભાંડના તાર આંધ્ર પ્રદેશ અને પંજાબ સાથે પણ જોડાયા હોવાના સંકેત મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેથી હવે આ સ્થળો પર પણ દરોડા પાડીને પુરાવા શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પોલીસે આ પહેલાં સપ્ટેમ્બરમાં પાડેલા દરોડામાં વિજય નાયર અને સમીર મહેન્દ્રુ નામની બે વ્યક્તિની ધરપકડ કરી હતી. સૂત્રો મુજબ સમીર મરેન્દ્રુની પૂછપરછમાં પણ અનેક મહત્વપૂર્ણ માહિતી મળી હોવાની વાત થઈ રહી છે. રાજકારણ સાથે સંકળાયેલા કેટલાક લોકો, દારૂ વેચતા વેપારીઓ અને ભૂતપૂર્વ અધિકારીઓના ઘર પર ઈડીના દરોડા પાડવામાં આવી રહ્યા છે.

કેન્દ્રીય તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં આ કેસમાં ૧૦૩થી વધુ દરોડા પાડયા છે. દિલ્હીના એલજીની ભલામણ પર દિલ્હીમાં દારૂ નીતિમાં કથિત કૌભાંડ અંગે સીબીઆઈએ કેસ નોંધ્યો હતો. ત્યાર પછી ઈડીએ પણ આ કેસમાં તપાસ શરૂ કરી છે. તપાસ એજન્સીઓને આ કેસમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મુખ્ય આરોપી બનાવ્યા છે. તેમના બેન્ક લોકરની પણ તલાશી લેવાઈ હતી.

જોકે, ઈડીની રેડ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ૫૦૦થી વધુ દરોડા, ૩ મહિનાથી સીબીઆઈ-ઈડીના ૩૦૦થી વધુ અધિકારી ૨૪ કલાક લાગેલા છે - એક મનીષ સિસોદિયા વિરુદ્ધ પુરાવા શોધવા માટે. પરંતુ તપાસ એજન્સીઓને કશું જ નથી મળી રહ્યું, કારણ કે અમે કશું જ ખોટું કર્યું નથી. પોતાના ગંદા રાજકારણ માટે આટલા અધિકારીઓનો સમય બરબાદ કરાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દેશ કેવી રીતે વિકાસ કરી શકશે?

આ પહેલાં ઈડીએ ૨૮મી સપ્ટેમ્બરે સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી. ઈડીની એફઆઈઆર મુજબ ઈન્ડોસ્પિરિટ્સના માલિક સમીર મહેન્દ્રુ દ્વારા કથિત રીતે સિસોદિયાના 'નજીકના સહયોગી'ઓને કરોડો રૂપિયામાં ઓછામાં ઓછી બે ચૂકવણી કરાઈ હતી, જે કથિતરૂપે આબકારી નીતિ બનાવવા અને અમલમાં અનિયમિતતાઓમાં સામેલ દારૂના વેપારીઓમાંથી એક હતા. બીજીબાજુ સીબીઆઈની એફઆઈઆરમાં આરોપ છે કે નાયબ મુખ્યમંત્રી સિસોદિયાના એક કથિત સહયોગી અર્જુન પાંડેએ એન્ટરટેઈનમેન્ટ અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના પૂર્વ સીઈઓ વિજય નાયર તરફથી સમીર મહેન્દ્રુએ અંદાજે ૨-૪ કરોડ રૂપિયા રોકડ લીધા હતા.



https://ift.tt/4SHCLpM from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bvGREKr

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ